સવાલ :
અમુક લોકો કુરબાની પર આ રીતે પણ વાંધો ઉઠાવે છે કે કુરબાનીમાં બેસુમાર પ્રાણીઓ ને ઝબહ કરવામાં આવે છે જેના લીધે પ્રાણીઓનો નરસંહાર થઈ રહ્યો છે.
જવાબ :
આ સવાલ થી સામાન્ય લોકોમાં ગેર સમજ ઊભી થઈ શકે છે પરંતુ જો આ બાબતમાં વિચાર મનન કરવામાં આવે તો ખબર પડે છે કે આની કોઈ હકીકત નથી. કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
وَمَآ أَنفَقْتُم مِّن شَىْءٍۢ فَهُوَ يُخْلِفُهُ ۖ وَهُوَ خَيْرُ ٱلرَّٰزِقِينَ
[સૂરહ સબા : ૩૯]
તમે લોકો જે કાંઈ ખર્ચ કરશો, અલ્લાહ તઆલા તેની જગ્યાએ તે વસ્તુ તમને આપી દેશે. અને અલ્લાહ તઆલા શ્રેષ્ઠ રોજી આપનાર છે.
આ કોઈ વચન નથી, બલ્કે જીવનના સત્ય પર આધારિત વાત છે. દરઅસલ આ આયતમાં પ્રકૃતિના એક નિયમ તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે જે વસ્તુની જરૂરત જેટલી વધારે હોય છે તે વસ્તુ એટલા વધુ પ્રમાણમાં મળી આવે છે. એટલે કે કુદરત માનવને જીવન માટે જરૂરી તમામ વસ્તુઓ પૂરતી માત્રામાં આપે છે. તેનો પુષ્કળ વપરાશ તેના પ્રમાણમાં ઘટાડો નથી કરતું. પાણી, હવા, ખોરાકનું વધુ પ્રમાણમાં હોવું, તેમજ હિરા, મોતી અને સોનું ઓછા પ્રમાણમાં હોવું આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પ્રાણીઓ અને તેને સંબંધિત વસ્તુઓ ગોશ્ત વગેરે માનવ જરૂરત છે. અને આ અવલોકન ને કોઈ નકારી નથી શકતું કે જે પ્રાણીઓ ની કુરબાની કરવામાં આવે છે તે પ્રાણીઓ આવતા વર્ષોમાં તેનાથી વધુ પ્રમાણમાં મળતા દેખાય છે. જ્યારે કે તે પ્રાણીઓ જેમની કુરબાની નથી થતી, તેમનું પ્રમાણ તે પ્રાણીઓની તુલનામાં ઓછું હોય છે જેમની કુરબાની થાય છે. જેમ કે કુતરા, બિલાડી વગેરે. નવાઈની વાત તો આ છે કે આ બન્નેની કુરબાની નથી થતી, અને તેઓ એક જ ગર્ભમાંથી પુષ્કળ બચ્ચાંઓ ને જન્મ આપવા હોવા છતાં તેમની તુલનામાં તે પ્રાણીઓનું પ્રમાણ વધારે છે જેમની કુરબાની પણ કરવામાં આવે છે અને તેઓ એક જ ગર્ભમાંથી બે થી વધારે બચ્ચાં પણ પેદા નથી કરતાં.
આ અવલોકન કુદરતનો સંકેત છે કે કુદરત માનવની જરૂરિયાતોને સરળતાથી પૂરી પાડે છે. તો પછી જરૂરતના ઉપયોગને જે વપરાશ બાદ પણ આવતા સમયમાં પુષ્કળ પ્રમાણમાં મળતું રહે છે તેને નરસંહાર કહેવો અસલમાં પોતાની બુદ્ધિ અને વિચારોનો નરસંહાર કરવા સમાન છે. અને આવું પણ ત્યારે કે જો તેનો ઉપયોગ કરવામાં ન આવે તો તેઓને સંભાળવું, નિયંત્રિત રાખવું અને પોષણ પૂરું પાડવું માનવ સમાજ માટે એક મોટો પડકાર અને ચિંતાનો વિષય બની જાય.
સારાંશ કે કુરબાની ના પ્રાણીઓ એક સ્વભાવિક જરૂરિયાત અને કુદરતની વ્યવસ્થા છે જે માનવજાતના હિતમાં કાર્યરત છે. તેજ કુદરતના આદેશ હેઠળ તેના માર્ગમાં તે પ્રાણીઓની કુરબાની આપવી નરસંહાર નો સબબ કેવી રીતે બની શકે..?
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59